શિવ મંદિરમાં મોટાભાગે થોડાં લોકો શિવલિંગ સામે બેઠેલાં નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે. આ એક પરંપરા બની ગઇ છે. આ પરંપરા પાછળ એક માન્યતા છે. કારણકે નંદી ભક્તોની મનોકામના સીધીજ શિવજી પાસે પહોચાડે છે. માન્યતા છે કે, જ્યાં શિવ મંદિર હોય છે, ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઇ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે.
જેની પાછળ માન્યતા છે કે, ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશાં સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઇ વિઘ્ન ન આવે, એટલા માટે નંદી જ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીને મનોકામના જણાવે છે.શિલાદ નામના એક મુનિ હતાં, જે બ્રહ્મચારી હતાં. વંશ સમાપ્ત થતો જોઇને તેમના પિતૃઓએ તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું.
શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માંગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા, ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરૂણ નામના બે મુનિ શિલાદના આશ્રમમાં આવ્યાં. તેમણે જણાવ્યું કે, નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો.
પ્રસન્ન થઇને ભગવાન શિવ પ્રકટ થયા અને કહ્યું કે, તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઇ શકે? આવું જણાવીને ભગવાન શિવે નંદીને પોતાનો ગણાધ્યક્ષ પણ બનાવી લીધો. આજે પણ લોકો શિવજી મંદિરમાં પોતાની વાતને ભગવાન શિવ પાસે પોહ્ચાડવા માટે નંદીના કાનમાં વાત કરે છે. કારણ કે એવું કહેવામાં આવે છે ભગવાન શિવ ઘણા સમય સુધી ધ્યાનમાં રહે છે જેથી બાદમાં નંદી ભક્તની વાત શિવજી સુધી પોહ્ચાડે છે.