Categories
જ્યોતિષશાસ્ત્ર

શા માટે પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવામાં આવે છે ? જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

હિન્દુ ધર્મગ્રંથોમાં પુષ્ય નક્ષત્રને સૌથી શુભકારક માનવામાં આવે છે. પુષ્યનો અર્થ થાય છે પોષણ કરનાર તેમજ ઉર્જા અને શક્તિ પ્રદાન કરનાર નક્ષત્ર. આ શુભ દિવસે સંપત્તિ અને સમૃદ્વિના દેવી મા લક્ષ્મીનો જન્મ થયો હતો. કહેવાય છે કે, આ દિવસે મા લક્ષ્મી જાતકના ઘરમાં વસે છે અને ત્યાં લાંબા ગાળા સુધી રહે છે. આ કારણોસર જ આ સમયને પાવનકારી કહેવાય છે. પુષ્ય નક્ષત્ર દરમિયાન કરવામાં આવેલા કાર્યોથી જીવનમાં સમૃદ્વિનું આાગમન થાય છે.

તે શુકનિયાળ પણ છે. આ દિવસે ગ્રહો સાનુકૂળ સ્થિતિમાં ભ્રમણ કરતા હોવાથી તે શાંતિ, સંપત્તિ અને સમૃદ્વિ લાવે છે. હિન્દુ પંચાંગ-શાસ્ત્રોમાં ૨૭ નક્ષત્રોમાં ૮મું નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ગણાય છે. પુષ્ય એ નક્ષત્રોના રાજા કહેવાય છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ એ શુભત્વનો કારક છે. ઘણાં ગ્રંથોમાં શની મહારાજને નક્ષત્રનો રાજા કહેવામાં આવે છે. થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે દિવાળી પહેલાના દિવસોમાં વિવિધ વેપાર-રોજગાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં હલચલ દેખાઇ રહી છે.

એવામાં હવે શનિવારે પુષ્ય નક્ષત્રની સાથે દિવાળીની શુભ ખરીદીના શ્રીગણેશ થશે. શનિવારે સવારે ૮.૧૫ થી રવિવારે સવારે ૮.૪૬ વાગ્યા સુધી પુષ્ય નક્ષત્ર હોવાની સાથે જ સોના-ચાંદી, ચોપડા, વાહન સહિતની શુકનવંતી ખરીદી માટેનો શ્રેષ્ઠ અવસર છે. પુષ્ય નક્ષત્રમાં કરેલાં કોઇપણ કાર્યમાં હરહંમેશ સફળતા અને સિદ્વિઓ પ્રાપ્ત થાય છે. તેથી જ લગ્ન સિવાયના દરેક શુભ કાર્ય માટે પુષ્ય નક્ષત્રને ઇચ્છનીય ગણવામાં આવે છે. દિવાળીના દિવસોમાં ચોપડા ખરીદવા માટે વેપારીઓ પુષ્ય નક્ષત્રને વિશેષ મહત્વ આપે છે. આ નક્ષત્ર દરમિયાન ઘરમાં આવેલી સંપત્તિ કે સમૃદ્વિ ચિરસ્થાયી રહે છે

આ દિવસે આધ્યાત્મિક કાર્યો કરી શકાય. મા લક્ષ્મીની ઉપાસના તેમજ શ્રી યંત્ર ખરીદીને જીવનમાં સમૃદ્વિ લાવી શકાય. કુંડળીમાં રહેલા દુષિત સૂર્યના દુષ્પ્રભાવને ઘટાડી શકાય. આ શુભ દિને મહાલક્ષ્મી સાધના કરવાથી તેનું વિશેષ રીતે મનોવાંચ્છિત ફળ મળે છે. પુષ્યનક્ષત્રમાં આ વર્ષે રવિયોગ અને રવિ પુષ્ય યોગ છે. રવિ પુષ્ય યોગ વિશે કહેવામાં આવે છે કે, કુયોગની અશુભતાને આ યોગ દૂર કરે છે. તમામ નક્ષત્રોમાં સૌથી શુભ અને શ્રેષ્ઠ યોગ પુષ્ય નક્ષત્રને માનવામાં આવે છે. અભિજીત મૂર્હુતને નારાયણના સુદર્શન ચક્ર તરીકે ગણવામાં આવે છે.

પુષ્યનક્ષત્રના શુભ મૂર્હુતો

સવારે ૦૮:૧૮ am –૦૯:૧૫ am
સવારે ૦૯:૧૫ am –૧૦:૧૨am
બપોરે૧૨:૦૬ –૦૧:૦૩ વાગ્યા સુધી
બપોરે ૦૩:૫૪ pm – ૦૪:૫૨ pm
સાંજે ૦૬:૫૨  – સાંજે ૦૭:૫૫ સુધી
રાતે ૦૮:૫૭ -૧૦:૦૦ વાગ્યા સુધી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *