રુદ્રાક્ષ ભગવાન શિવનો અંશ મનાય છે. અને તેને ધારણ કરવાથી જીવનમાં રહેલી પીડાઓ દૂર થઈ જાય છે. આપણા શાસ્ત્રોમાં રુદ્રાક્ષ વિષે કહ્યું છે કે, રુદ્રાક્ષના વૃક્ષની ઉત્પતિ ભગવાન શિવના આંસુડાથી થઈ હતી. જ્યારે ભગવાન શંકરના આંસુઓ ધરતી પર પડ્યા ત્યારે તેનાથી એક ઝાડ ઉત્પન્ન થયું જે રુદ્રાક્ષના નામે ઓળખાયું. રુદ્રાક્ષ ખુબ પવિત્ર અને ચમત્કારી હોય છે. જેને ધારણ કરવાથી કેટલીય મુશ્કેલીઓ માંથી મુક્તિ મળે છે.
રુદ્રાક્ષના પ્રકારો:
રુદ્રાક્ષ ૧૪ પ્રકારના હોય છે. રુદ્રાક્ષમાં મુખ નીકળેલા હોય છે અને જે રુદ્રાક્ષમાં એક મુખ હોય તેને એકમુખી કહેવામાં આવે છે. જેમાં ચાર મુખ હોય તેને ચાર મુખી, તેવી જ રીતે રુદ્રાક્ષ ૧૪ મુખી હોય છે. દરેક પ્રકારના રુદ્રાક્ષની એક ચોક્કસ ખાસિયત હોય છે.
એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે. આ પ્રકારનો રુદ્રાક્ષ કર્ક,સિંહ અને મેષ રાશિના વ્યકિતઓએ અવશ્ય ધારણ કરવો જોઈએ.
બે મુખી રુદ્રાક્ષ એ શિવ અને પાર્વતીના સ્વરૂપ તરીકે ઓળખાય છે. તેને ધારણ કરવાથી મનોવાંછિત ફળ મળે છે. કર્ક રાશિના લોકો જો તે પહેરે તો તેમને સારો લાભ થાય છે.
ત્રણ મુખ વાળા રુદ્રાક્ષને ત્રિદેવનું રૂપ માનવામાં આવે છે.જે વિદ્યા સાથે સંબંધિત છે.
ચાર મુખી રુદ્રાક્ષ બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાય છે. જે ચતુર્વિધ ફળ પ્રદાન કરે છે.
પંચમુખી રૂદ્રાક્ષ ખુબ જ શુભ મનાય છે જેને ધારણ કરવાથી પાપ ધોવાય જાય છે.મેષ, કર્ક,સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના લોકો માટે પંચમુખી રૂદ્રાક્ષ લાભદાયી બની રહે છે.
છ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શત્રુઓ નાશ પામે છે. તે સિવાય તેનાથી શુક્ર ગ્રહને શાંત રાખવા માટે પણ તેને ધારણ કરવામાં આવે છે.
સાત મુખી રુદ્રાક્ષ જે કામદેવના સ્વરૂપ તરીકે ઓળખાય છે જેને ધારણ કરવાથી ધન પ્રાપ્ત થાય છે.
આઠ મુખી રુદ્રાક્ષ આઠ દિશાઓ અને આઠ પ્રકારની સિદ્ધિઓ દર્શાવે છે જેને ધારણ કરવાથી પુણ્ય મળે છે.
નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી દરેક પ્રકારની પીડાઓ દૂર થઈ જાય છે.
શાસ્ત્રોમાં દશ મુખી રુદ્રાક્ષ ભગવાન વિષ્ણુના સ્વરૂપ તરીકે ઓળખાય છે. જેને ધારણ કરવાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
અગિયાર મુખી રુદ્રાક્ષ એકાદશી સ્વરૂપે છે જેને પહેરવાથી વિજયની પ્રાપ્તિ થાય છે.
બાર મુખી રુદ્રાક્ષ દ્વાદશ એટેલે કે આદિત્ય સ્વરૂપે છે જે જીવનમાં પ્રકાશ પ્રકટ કરે છે.
તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નસીબ ચમકી ઉઠે છે.
ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મનને શાંતિ મળે છે.
રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો:
રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો જો જોઈએ તો, રુદ્રાક્ષ પવિત્ર કરવાથી જ પહેરવો જોઈએ અને તે શ્રાવણ માસના કોઈપણ સોમવાર, શિવરાત્રી કે કોઈ પણ પૂનમના દિવસે ધારણ કરવાથી શુભ ફળ આપે છે. રુદ્રાક્ષ સવારના સમયે ધારણ કરવો જોઈએ જે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે માટે તમે સવારના સમયે સ્નાન કર્યા બાદ પહેરી શકો.રુદ્રાક્ષ ધારણ કરવાના નિયમો મુજબ, રુદ્રાક્ષ ધારણ કરવાના સાત દિવસ પહેલા સરસોના તેલમાં ડુબાડી રાખો.
આઠમે દિવસે તેને સરસોનાં તેલમાંથી કાઢી, સારી રીતે સાફ કરો. ત્યાર બાદ તેને પંચામૃત ( દૂધ,મધ,દહી, તુલસી અને ગંગાજળ) મા ડુબાડો.પંચામૃતમા થોડો સમય રાખ્યા બાદ તેને કાઢીને ગાંગાજળથી પવિત્ર કરો અને તેની પર ચંદનનું તિલક લગાવો. ત્યાર બાદ તમે તેને ધારણ કરો.રુદ્રાક્ષ ધારણ કર્યા બાદ તમે જ્યારે પણ મંદિરે જાવ તો તેને શિવલિંગ સાથે સ્પર્શ કરાવો. સમયાંતરે તેને ગંગાજળ અને પંચામૃતથી પવિત્ર કરો.