સમગ્ર ગુજરાત રાજ્ય સહીત ઉત્તર ગુજરાતની અંદર પણ અનેક પ્રાચિનતમ મંદિરો આવેલા છે. ત્યારે વિજાપુર તાલુકાના આસોડા ગામની અંદર આવેલ ૧૨૦૦ વર્ષ જુનું જશમલ નાથજી મહાદેવનું મંદિર શિવ પંચાયત મંદિર તરીકે જાણીતું બન્યું છે. આ મંદિરની અંદર મહાદેવ અન્ય ચાર દેવો સાથે સાક્ષાત બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં દર્શન કરવાથી ૧૨ જ્યોતિર્લીંગના દર્શન કર્યા હોવાનું પુણ્ય મળે છે.
આ મંદિર વિજાપુર તાલુકાના કુકરવાડા પાસે આસોડા ગામની અંદર આવેલ છે. આ મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિધ્ધરાજ જયસિંહએ બંધાવ્યું હતું. તદ્દન મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આબેહૂબ કોતરણી આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરી રહી છે. અહીં મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારતકાલના પાત્રો કંડારાયેલા છે. અને સંપૂર્ણ વાસ્તુ શાસ્ત્ર આધીન મંદિરનું સુંદર નિર્માણ કરાયું છે.અહીં પથ્થરની કોતરણી સાથેના મંદિરમાં બિરાજમાન ભગવાન શિવજી અદભુત અને અલૌકિક છે.
જશમલ નાથજી મહાદેવના મંદિર તરીકે જાણીતા બનેલા આ મંદિરની અંદર અખંડ જ્યોત પ્રજ્વલિત છે. પવિત્ર શ્રાવણ માસમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. અહી મંદિરમાં શ્રવણ માસની અમાસના દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે. પ્રથમ સોમવારે મંદિરના પ્રાંગણમાં ભાતીગળ મેળો ભરાય છે. આ પૌરાણિક મંદિરમાં સિદ્ધરાજ જયસિંહ વખતથી શ્રાવણ માસના અમાસના દિવસે ૧૦૦૮ કમળ પૂજા થાય છે.
ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કમળ પૂજા કરવામાં આવે છે તે યજ્ઞ જોવાલાયક હોય છે.પાટણના રાજપૂત રાજા સિધરાજ સોલંકીના રાજ્ય શાસન કાળમાં તે ધર્મપ્રેમી રાજા હોવાને લઇ ધર્મની ધજા, તેના રાજ્યમાં ફરકે તે માટે પથ્થરો ઉપર કોતરણીવાળા અદભુત શિવ મંદિરો બંધાવ્યા હતા. લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજને શ્રાવણ માસના પ્રથમ રાત્રિના સમયે ભગવાન શિવનું સ્વપ્ન આવેલું અને શિવજીએ તેમને કહ્યું કે મારું સ્વયંભૂ શિવલિંગ ૨૫ માઈલ દૂર છે. અને પછી ત્યાં એક મંદિરનું નિર્માણ કરવાનું આયોજન શરૂ કરાયું.