હિંદુ શાસ્ત્ર મુજબ માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો છે. તેમજ ભારતની અંદર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોના અલગ અલગ મંદિર આવેલા છે. આ પૈકી ગુજરાતના અમદાવાદ ખાતે પણ અષ્ટ લક્ષ્મી માતાનું એક મંદિર આવેલું છે. આ મંદિરની ખુબજ વિશેષતા રહેલ છે જેથી ઘણા લોકો દર્શન કરવા માટે આ મંદિરમાં આવે છે. ધનતેરસના દિવસે આ મંદિરની અંદર વિશેષ રીતે લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે આવેલ લક્ષ્મી માતાનું મંદિર ગુજરાતનું પહેલું અને ભારતનું બીજી ભવ્ય મંદિર ગણવામાં આવે છે. ધનતેરસના દિવસે ભક્તો દ્વારા લક્ષ્મી માતાની ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ સાથેજ દિવાળીના દિવસે માતા લક્ષ્મીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. આ મંદિરની અંદર માતા લક્ષ્મીના આઠ સ્વરૂપો બિરાજમાન છે.
માતા લક્ષ્મીના આઠ સ્વરૂપોના નામ જેમાં શ્રી આદિ લક્ષ્મી, શ્રી ધાન્ય લક્ષ્મી, શ્રી ગજ લક્ષ્મી, શ્રી ધૈર્ય લક્ષ્મી, શ્રી સંતાન લક્ષ્મી, શ્રી વિજય લક્ષ્મી, શ્રી વિદ્યા લક્ષ્મી, શ્રી ધન લક્ષ્મી છે. માતા લક્ષ્મીના દરેક સ્વરૂપની વિશેષતા અલગ અલગ રહેલી છે અને આ ઉપરાંત આદિશક્તિ બિરાજમાન છે. ખાસ કરીને અહીં મહિલાઓ મોટી સંખ્યામાં અષ્ટ લક્ષ્મી માતાજીનાં દર્શન કરવા માટે આવે છે.
એવું કહેવામાં આવે છે કે ધનતેરસનાં દિવસે માતા લક્ષ્મીની વિશેષ પૂજા મંદિરમાં આવીને ભક્તો કરે છે. જેમાં સમૂહ પૂજા એક સાથે થતી હોય છે અને એક જ પરિવારનાં સભ્યો તેમજ સમૂહમાં આવેલા ભક્તો શ્રી યંત્રની પૂજા વિધિમાં ભાગ લેતા હોય છે. જ્યારે દિવાળીનાં દિવસે માતાજીને અન્નકૂટ ચડાવવામાં આવે છે અન્નકૂટમાં ફ્રુટ, મીઠાઇ, પંચામૃતનો અભિષેક તેમજ ઘરમાં ખવાતી વિવિધ વસ્તુઓ અન્નકૂટમાં મુકવામાં આવે છે.