આપણા ગુજરાતમાં ભગવાન ગણેશના ઘણા મંદિરો આવેલા છે અને આ બધા જ મંદિરોમાં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે દર્શન કરવા માટે જતા હોય છે અને ભગવાન ગણેશમાં મંદિર એટલા જ લોકપ્રિય પણ છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા દેવ પણ કહેવામાં આવે છે. આવું જ એક મંદિર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઐઠોર ગામમાં આવેલું છે. ઐઠોરના ગણપતિ તરીકે જાણીતા મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. જે મુજબ મંદિરમાં રહેલી પ્રતિમાનો સંબંધ પાંડવ યુગ સાથે છે.
ઉપરાંત સોલંકી કાળમાં પણ રાજાઓ અહીં આવીને પૂજા અર્ચના કર્યા બાદ જ કોઈ શુભ કાર્યની શરૂઆત કરતા હતા. અંદાજિત 1200 વર્ષ જૂના આ મંદિરમાં બિરાજમાન ગણપતિ દાદાની મૂર્તિ ધાતુ કે પથ્થરમાંથી નહીં પરંતુ માટીમાંથી બનાવાઈ છે, જેની પર સિંદુર અને તેલનો લેપ લગાવેલો છે.
દંતકથા અનુસાર પ્રાચીન કાળમાં દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાથી દેવી અને દેવતાઓની જાન જોડાઈ હતી, પરંતુ વાંકી સૂંઢ હોવાને લીધે ભગવાન ગણપતિને તેમના વિચિત્ર દેખાવના કારણે આમંત્રણ નહોતું અપાયું. એવામાં જ્યારે જાન ઐઠોર અને ઊંઝા વચ્ચે આવેલા સોમનાથ મહાદેવના મંદિર પહોંચી ત્યારે ભગવાન ગણેશજીના કોપના કારણે તમામ રથ ભાગી ગયા. રથ ભાગી જવાની ઘટના બનવા પાછળ કારણ સમજાતા દેવોએ ભગવાન ગણેશજીને મનાવવા પુષ્વાવતી નદીના કિનારે 33 કરોડ દેવી અને દેવતાઓની પૂજા કરી હતી.
નદીના કિનારે આજે પણ 33 કરોડ દેવી અને દેવતાઓનું મંદિર આવેલું છે. દેવરાજ ઈન્દ્રના લગ્ન હોવાથી ભગવાન શંકર નો સમગ્ર પરિવાર જાનમાં આવ્યો હતો. ત્યારે ચાલતા ચાલતા ભગવાન ગણેશજી થાકી જવાના કારણે ભગવાન શંકરે તેમને ‘અહીં ઠેર’ કહ્યું હતુ, જે શબ્દો પરથી ગામનું નામ ઐઠોર પડ્યું હોવાનું મનાય છે.
ભગવાન ગણેશજી ઐઠોરમાં આરામ કરવા રોકાયા હતા. જ્યારે ભગવાન શંકર, માતા પાર્વતી અને કાર્તિકેય જાનમાં આગળ ગયા. પરંતુ થોડા દૂર ચાલ્યા બાદ માતા પાર્વતીએ પુત્ર વિના આગળ જવાની ના પાડી દીધી અને તેઓ ઊંઝામાં રોકાઈ ગયા. જ્યાં આજે ઉમિયા માતાનું મંદિર આવેલું છે. જાન આગળ વધતા ભાઈ અને માતા વિના કાર્તિકેયે પણ આગળ જવાની ના કહી દીધું અને ઈનકાર કર્યો અને સિદ્ધપુર ખાતે રોકાઈ ગયા હતા. જ્યાં આને કાર્તિકેયજી નું મંદિર સિદ્ધપુર ખાતે મંદિર આવેલું છે.