Categories
Uncategorized

આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં ફરી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી તા. 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકી શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જરૂર જણાએ ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સતર્ક રહેવા આપીલ કરવામાં આવી છે.
જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ પંથકમાં આજે વરસાદી આફતનું ઝળુંબતું જોખમ

ગઈકાલે ગુરુવારે અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, સુરત, તાપીમાં વરસાદની આગાહીને લઇને છૂટોછવાયો વરસાદ પડયો હતો. ત્યારબાદ આજે તા. 15 જુલાઈને શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગત બુધવાર સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુમાં ભાવનગર, વલસાડ,પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લધી

વધુમાં આવતીકાલે એટલે કે તા.16 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી આફતને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. નોંધનિય છે કે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લઇ મુખ્યમંત્રીએ નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરી હતી. અને બંને નવસારી જિલ્લાની વિકટ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ

ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગની આગાહી બાદ અમરેલીમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકો પર તંત્ર સાબદું બન્યું છે. વરસાદની આફતના ભણકારાને લઈને કલેક્ટર ગૌરાંગ મકવાણાએ લોકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. ઉપરાંત લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા પણ જણાવાયું છે. વધુમાં વહેતા નદી નાળામાંથી પસાર ન થવું અને નદી-ડેમના પટ્ટમાં અવર-જવર ન કરવા પણ ગૌરાંગ મકવાણાએ અપીલ કરી છે.
ગઇકાલે ગુરુવારે રાજ્યના 203 તાલુકામાં વરસાદ

નોંધનિય છે કે, ગઇકાલે ગુરુવારે રાજ્યના 203 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો હતો. જ્યારે ગણદેવીમાં 8, નવસારીમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 3, કપરાડા, વાસંદા અને જલાલપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ સુત્રાપાડા અને ડોલવણમાં 6-6 ઇંચ, માણાવદર, કુતિયાણા અને વઘઇમાં 5 ઇંચ, તાળાળા, રાણાવાવ, વ્યારા, ખેરગામ અને ચોર્યાસીમાં 4 ઇંચ, બારડોલી, વાપી અને પારડીમાં 3.5 ઇંચ, વલોદ અને માળીયામાં 3 ઇંચ, ખાંભા, જેતપુર, ખંભાળીયા, વંથલીમાં 2.5 ઇંચ ઉપરાંત પોરબંદર, સુબીર, મહુવા, જેસરમાં 2 ઇંચથી વધુ વરસાદ પડયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *